એક યુગવિધાયક શ્રીકૃષ્ણ ૧
એક યુગવિધાયક શ્રીકૃષ્ણ
હિંદુ સંસ્કૃતિનાં મોટા ભાગનાં ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પુજાય છે. વળી શ્રીકૃષ્ણ ને જગદગુરુ કહેવામા આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણ ધરાવતાં કિશોર ગોવાળીયા તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી (વાંસળી) સાથે ફરતો હોય છે કે બંસી વગાડતો હોય છે (શ્રીમદ્ ભાગવતમ્ માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરિકે તેમની છબી સિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગુઢ ફીલોસોફીનું જ્ઞાન અને માર્ગદર્શન આપતો હોય (જેમકે ભગવદ્ ગીતામાં).ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે.
કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ હિંદુ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે.ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકિકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશ એક સરખુંજ હોય છે.આમાં કૃષ્ણનાં દિવ્ય અવતારની વાતો, તેમનાં નટખટ બાળપણની અને યુવાવસ્થાની વાતો તથા એક યોદ્ધા અને શિક્ષા આપનાર ગુરૂ (અર્જુનનાં સંદર્ભમાં) તરિકેની વાતોનો સમાવેશ કરી શકાય.
શ્રીકૃષ્ણના નામો:-
મહાભારતના ઉદ્યોગપર્વના સિત્તેરમા અઘ્યાયમાં શ્રીકૃષ્ણનાં જુદાંજુદાં નામોનું અને એ નામોના ભાવાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણન અતિશય રોચક અથવા રસપ્રદ છે.
એ વર્ણન ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાના જવાબરૂપે સંજય દ્વારા કરવામાં આવ્યું છે.
એનો રસાસ્વાદ આનંદદાયક અને ઉપયોગી થઇ પડશે, અસ્થાને નહિ મનાય.
એના પરથી મહાભારતકાર શ્રીકૃષ્ણને કેવી વિશિષ્ટ દિવ્ય દૃષ્ટિથી દેખે છે એનો અનાયાસે ખ્યાલ આવશે અને કૃષ્ણની પેઠે એમને માટે પણ માન પેદા થશે.
ધૃતરાષ્ટ્રના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સંજયે જણાવ્યું કે મેં શ્રીકૃષ્ણના નામોનો વ્યુત્પત્તિથી થતો શુભ અર્થ સાંભળ્યો છે. તે વિશે મારી માહિતી તથા સમજશક્તિ પ્રમાણે તમને જણાવીશ; કારણ કે ભગવાન કેશવ વાણી અને મનથી અતીત અથવા અગોચર છે.
પ્રાણીમાત્રના વસનરૂપ એટલે માયાથી આવરણ કરનારા અથવા જગતને વાસ આફનારા હોવાથી, વસુત્વ એટલે તેજોમય હોવાથી, તેમજ દેવતાઓના કારણરૂપ હોવાથી, એ શ્રીકૃષ્ણ વાસુદેવ કહેવાય છે. વળી સર્વવ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાય છે.
મા એટલે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિવૃત્તિને તે મૌન, ધ્યાન અને યોગથી ધવન કે દૂર કરે છે. તેથી તમે તેને માધવ જાણો.
મધુ એટલે પૃથ્વી આદિ તત્વોના સંહારકર્તા હોવાથી, અથવા તે તત્વો એમનામાં લય પામે છે તેથી તે મધુહા કહેવાય છે.
મધુ નામના દૈત્યના નાશકર્તા હોવાથી કે સુદન હોવાથી શ્રી કૃષ્ણ મધુસુદન કહેવાય છે.
કૃષિ શબ્દ સત્તાવાચક અને ળ સુખવાચક હોવાથી એ બંને ધાતુના અર્થરૂપ સત્તા અને આનંદના સંબંઘથી યદુવંશી વિષ્ણુ કૃષ્ણ નામને પ્રાપ્ત થયા છે.
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ કૃષ્ણ પક્ષ આઠમ તિથિનો થયો હતો તો રાધાએ શ્રાવણ માસમાં શુક્લ પક્ષની આઠમ તિથિના રોજ જન્મ ધારણ કર્યો હતો. શ્રી કૃષ્ણ અને રાધાના જન્મ સમયે તિથિ પ્રમાણે માત્ર 15 દિવસોનો અંતર છે. કૃષ્ણ ના જન્મ નો દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે અને રાધા ના જન્મ નો દિવસ રાધાષ્ટમી તરીકે ઉજવાય છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો.
બાળ લીલા:-
એક દિવસ યશોદા માખણ બનાવી રહ્યા હતા. અચાનક એ સમયે બલરામ અને શ્યામ (શ્રી કૃષ્ણના અનેક નામમાંથી એક નામ) ત્યાં આવી પહોંચ્યા શ્રી કૃષ્ણએ યશોદાનો ચોટલો પકડી તેમને પોતાના તરફ ખેંચ્યા. બલરામ પણ આવું જ વર્તન કરવા માંડયા. બન્નેએ જણાવ્યું કે પોતે બહુ ભૂખ્યા છે અને તેમણે માખણ-રોટલીની માંગણી કરી. યશોદાએ તેમને રસોડામાં જઈ દૂધ અને મીઠાઈ ખાઈ લેવા જણાવ્યું પરંતુ શ્રી કૃષ્ણએ મીઠાઈ-દૂધ નથી ભાવતા તેમ કહી માખણ-રોટીની માંગણી દોહરાવી પરંતુ યશોદાએ જણાવ્યું કે ખૂબ માખણ ખાવાથી તેના વાળ બળભદ્ર જેવા લાંબા નહી થાય. આ સાંભળતા જ શ્રીકૃષ્ણ એ જણાવ્યું કે મને ખબર છે કે આપ મને માખણ-રોટીની કેમ ના પાડો છો ? યશોદાએ પૂછયું કે કેમ ? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે બલરામ મને કહેતા હતા કે આપ મારી માતા નથી એટલે આપ મને માખણ આપતા નથી આ સાંભળતા જ યશોદાએ શ્રી કૃષ્ણને માખણ આપ્યું અને કહ્યું કે બલરામ ખોટું બોલે છે.
મોહનનું અદભૂત નૃત્ય ;
એક દિવસ યશોદા ઘરના નોકરોને કોઈ ઘરકામ સોંપી પોતે માખણ બનાવવા બેઠા હતા આ સમયે કૃષ્ણએ આવી પોતે ભૂખ્યા હોવાનું જણાવ્યું પોતે બહુ કામમાં હોવાથી યશોદાએ શ્રી કૃષ્ણને કોઈ કામે વળગાડવાનું નક્કી કર્યું. આથી તેણી કૃષ્ણને પોતે કાર્ય પૂર્ણ કરે ત્યાં સુધી નૃત્ય કરવા જણાવ્યું શ્રી કૃષ્ણએ વલોણાના અવાજની ધૂન પર નૃત્ય કરવાનું શરૂ કર્યું. આ અદભૂત નૃત્ય નિહાળવા સ્વર્ગની નર્તકીઓ ગોવાલણનો વેશ ધારણ કરી પૃથ્વી પર આવી પહોંચી. ગોકુળમાં લોકો પોતાનું કાર્ય અટકાવી નૃત્ય જોવા માંડ્યા. નૃત્ય પૂર્ણ થતાંજ શ્રી કૃષ્ણએ યશોદા પાસે ભોજનની માંગણી કરી યશોદાએ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડી અને તેને ભોજન આપ્યું. આમ, શ્રી કૃષ્ણ પોતાની માંને હંમેશા ખુશ રાખતા.
ગાય પ્રત્યેનો પ્રેમ ;
શ્રી કૃષ્ણને ગાય પ્રત્યે અનહદ પ્રેમ હતો દરેક ગાયને શ્રી કૃષ્ણના સમયમાં ગોકુળમાં જન્મ લેવાનો આવકાર મળતો. શ્રી કૃષ્ણ ગાયોને માતા સમજી આદર આપતા. સામે ગાયોને પણ સમાન આદરભાવ હતો. એક દિવસ એક ગાય નંદબાબાને ત્યાં ઉભી રહી ગોપાલ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. ગાય પોતાનું દૂધ શ્રી કૃષ્ણને આપવાની ઈચ્છા ધરાવતી હતી, ગાયને આપોઆપ દૂધ આવી રહ્યું હતું. શ્રી કૃષ્ણની ગાય પર નજર પડતાં જ તેમણે તે દૂધ પીવાનું શરુ કર્યુ. યશોદા આ બધું જોઈ રહ્યાં હતા. તેમણે વિચાર્યું કે ગાય કેટલી નસીબદાર છે તેમણે મનોમન ગાયને નમસ્કાર કર્યા !
શ્રી કૃષ્ણને સજા:-
એક દિવસ ગોવાળિયાઓએ ભેગા થઈ એવી ફરિયાદ કરી કે શ્રી કૃષ્ણ તેમનું માખણ, દૂધ, દહીં ચોરી જાય છે અને અમારા બાળકો સાથે તોફાન કરે છે. જો કે ગોવાલણોને મનોમન કૃષ્ણની લીલા ખૂબ પસંદ હતી. યશોદાએ ગોવાલણોને પોતાના ઘરે એકત્ર કરી શ્રી કૃષ્ણને જણાવ્યું કે તારી ફરિયાદથી હું કંટાળી ગઈ છું. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હું તેમના ઘરે નહીં જાવ. તેઓ પહેલા મને પોતાના ઘરે બોલાવે છે અને હું જાવ પછી તેઓ મારી ફરિયાદ કરે છે.
યશોદાના આદેશ અનુસાર શ્રી કૃષ્ણ બહાર રમવા ગયા નહીં. તેઓ ઘરના પાછળના ભાગમાં જઈ રમવા લાગ્યા. તેમની આ રમત એક કાળો નાગ પોતાના દરમાંથી જાઈ રહ્યો હતો. કૃષ્ણનું કાળાનાગ પર ધ્યાન પડતા તે ત્યાં આવ્યા અને કાળાનાગ સાથે રમવા માંડયા. અચાનક યશોદા ત્યાં આવી ચડ્યા, કૃષ્ણની સર્પ સાથે રમત જોઈ તેણે કૃષ્ણને ધમકાવ્યા. ભયભીત થઈ ગયેલા શ્રી કુષ્ણએ માતા પાસે માફી માગવી શરૂ કરી.
માતા સામે લાચાર :-
એક દિવસ કૃષ્ણ યશોદાનું દૂધ પીવા તેમના ખોળામાં સૂતા હતા. માતૃત્વને કારણે દૂધ આપોઆપ વહી રહ્યું હતું. અચાનક યશોદાને યાદ આવ્યું કે ચૂલા પર દૂધ ઉકળી રહ્યું છે. તેઓ કૃષ્ણને અતૃપ્ત મૂકી રસોડા તરફ દોડી ગયા. શ્રી કૃષ્ણને ખૂબ ગુસ્સો આવ્યો. તેમના હોઠ ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા. તેણે બાજુમાં પડેલું માટલું ફોડી નાંખ્યું યશોદાએ પરત આવીને જોયું કે ફૂટેલું માટલું પડયું હતું, અને કૃષ્ણ ક્યાંય નજરે ચડતા નહોતા, તરત જ યશોદાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. શ્રી કુષ્ણને શોધતા શોધતા તેમને તેઓ મળી ગયા. કૃષ્ણ વાંદરાઓને માખણ ખવડાવી રહ્યા હતા. યશોદાએ વિચાર્યુ કે વાંદરાઓ નસીબદાર છે ! યશોદા પોતાની સામે લાકડી લઈ આવી રહ્યા છે તેવો કૃષ્ણને ખ્યાલ આવતા જ તેઓ ત્યાંથી ભાગી ગયા. દૂરથી તેમણે માતાને હાથ જોડી માફ કરવા જણાવ્યું. જો કોઈ રાક્ષસ હોત તો શ્રી કૃષ્ણે પોતાના સુદર્શન ચક્રથી તેનો નાશ કર્યો હોત, પરંતુ માતા સમક્ષ તેઓ લાચાર હતા !
બંધનની સજા ; અંતે શ્રી કૃષ્ણ પકડાઈ ગયા. યશોદાએ તેના તોફાનોથી કંટાળી તેમને પથ્થરની ઘંટી સાથે દોરી વડે બાંધી દેવાનું નક્કી કર્યુ. એક દોરડું લઈ તેમણે બાંધવાની શરુઆત કરી પરંતુ દોરડું ટુંકું પડયુ. બીજું દોરડું લઈ આવ્યા પરંતુ તે પણ ટુંકું પડયું આમ, એક પછી એક ઘણા દોરડા લઈ આવતા પણ યશોદા કૃષ્ણને બાંધી શક્યા નહીં શ્રી કૃષ્ણએ જોયું કે માતા થાકી ગયા છે એટલે તેમણે પોતાની જાતને બાંધવા દીધા. શ્રી કૃષ્ણને બાંધી યશોદા ઘરકામમાં પરોવાયાં. યશોદાના જતા જ શ્રી કૃષ્ણએ પથ્થરની ઘંટી સાથે ચાલવાનું શરૂ કર્યું. ઘરની પાછળના ભાગના બગીચામાં પહોંચી ગયા. ત્યાં તેમણે બે વૃક્ષ ઉખાડી નાખ્યા. આ વૃક્ષો ઘણા સમયથી કૃષ્ણની રાહ જોઈ રહ્યા હતા. હકીકતમાં બન્ને વૃક્ષો કુબેરના પુત્રો હતા. પરંતુ અભિમાની સ્વભાવને કારણે નારદ મુનિનો શ્રાપ લાગતા તેઓ વૃક્ષ બની ગયા હતા.
રાસલીલા :-
પૂનમની રાત્રિ હતી. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું હતું શ્રી કૃષ્ણ ગોપીઓથી ખૂબ જ ખુશ હતા. યોગમાયા વડે શ્રી કૃષ્ણએ વિવિધ સ્વરુપો ધારણ કર્યા હતાં. રાસ લીલાનો પ્રારંભ થઈ ગયો હતો. ગોપીઓ માનવ સ્વરુપના દાર્શનિક તરીકે હાજર હતી. સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. ગોપીઓના પ્રેમ કાજે આજે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ રાસ લઈ રહ્યા હતા......વધું માહિતી બીજાં અંકમાં............જય શ્રી કૃષ્ણ.........
સંપાદક:-પ્રજાપતિ તુષાર "ઝાકળ"
Comments
Post a Comment